દિવાળીની ઉજવણી 31 ઓક્ટોબરે કે 1 નવેમ્બરે, સતત બીજા વર્ષે પડતર દિવસની પળોજણ

By: nationgujarat
15 Oct, 2024

Diwali Celebration Date : દિવાળીના તહેવારોને આડે હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. પરંતુ સતત બીજા વર્ષે દિવાળીની ઉજવણી ક્યારે કરવી તેને લઈને ગૂંચવણ સર્જાઈ છે. આ વખતે વારાણસી-ઉજ્જૈન- મથુરા-વૃંદાવન-નાથદ્વારા-દ્વારકા-તિરુપતિમાં 31 ઓક્ટોબરે જ્યારે અયોધ્યા-રામેશ્વરમાં 1 નવેમ્બરના દિવાળીની ઉજવણી કરવામાં આવે તેવી સંભાવના છે. આમ, દિવાળીની ઉજવણી ક્યારે કરવી તેને લઇને જ્યોતિષાચાર્યો-શાસ્ત્રવિદોમાં પણ મતભેદની સ્થિતિ છે.

ગત વર્ષે પણ પડતર દિવસને લીધે દિવાળીની ઉજવણી ક્યારે કરવી તેને લઈને દ્વિધા સર્જાઈ હતી. હવે આ વખતે ફરી એક વખત આ જ સ્થિતિનું નિર્માણ થયું છે. અયોધ્યામાં રામ મંદિરના મુખ્ય પુજારી આચાર્ય સત્યેન્દ્ર દાસના મતે લોકો કોઈ ભ્રમમાં પડ્યા વિના 1 નવેમ્બરના જ દિવાળીની ઉજવણી કરે. અનેક લોકો અલગ-અલગ તિથિ લખી નાખે છે. અમારી ગણતરી પ્રમાણે 1 નવેમ્બરે જ દિવાળી મનાવાશે.

બીજી તરફ ઉજ્જૈનના જ્યોતિષાચાર્યોને મતે આ વર્ષે 31 ઓક્ટોબરે જ દિવાળી મનાવવી શ્રેષ્ઠ છે. લક્ષ્મી પૂજા માટે સાંજનો સમય હોવો  જરૂરી હોય છે. 31 ઓક્ટોબરે સંધ્યાકાળના સમયે અમાસ છે અને એટલે આ દિવસે જ દિવાળી મનાવવી જોઈએ. બનારસ હિન્દુ મહાવિશ્વવિદ્યાલયના જ્યોતિષ વિભાગના મતે 1 નવેમ્બરે!’ દિવાળી છે જ નહીં અને અમારી ગણતરી પ્રમાણે 31 ઓક્ટોબરે જ દિવાળી ઉજવાવી જોઈએ.

આ અંગે જ્યોતિષી અગ્નિદત્ત પદ્મનાભ અગ્નિહોત્રીએ જણાવ્યું કે, ‘31 ઓક્ટોબરે સાંજે ચાર વાગ્યાથી અમાસ છે. દિવાળીએ રાતનો તહેવાર છે અને જેના કારણે 31મીએ જ દિવાળીની ઉજવણી કરવી જોઈએ. 1 નવેમ્બરના સાંજે પાંચ સુધીના અમાસ પૂર્ણ થઇ જતી હોવાથી ત્યારે દિવાળી કહી શકાય નહીં. દિવાળીના પૂજન 31 ઓક્ટોબરે થવા જોઈએ. આ વખતે બારસ છે ત્યારે ધન તેરસ અને તેરસ છે ત્યારે કાળી ચૌદશ છે.

શાસ્ત્રવિદ્ સિદ્ધાર્થ શર્માએ પણ 31 ઓક્ટોબરના જે દિવાળી ઉજવવા મત રજૂ કર્યો હતો અને તેમણે કહ્યું કે, “સૂર્યોદય- સૂર્યાસ્તના સમયમાં ફેરફાર પ્રમાણે કેટલાક સ્થાનોએ દિવાળીની ઉજવણીની તારીખમાં ફેરફાર છે. પરંતુ આપણે ત્યાં 31 ઓક્ટોબરે જ દિવાળી ઉજવાવી જોઈએ. 1 નવેમ્બરે પડતર દિવસ છે અને બીજી નવેમ્બરના નૂતન વર્ષ જ્યારે 3 નવેમ્બરના ભાઈ બીજ છે.’

સતત બીજા વર્ષે પડતર દિવસની પળોજણ

દિવાળી બાદ પડતર દિવસની ઉજવણી સતત બીજા વર્ષે સર્જાઈ છે.ભારતીય પંચાંગ પ્રમાણે ચંદ્રની કળાઓને 30 ભાગમાં વહેચવામાં આવી છે જ્યારે હકીકતમાં ચંદ્ર એ 30 કળાઓને 30 દિવસ કરતા ઓછા સમયમાં પુર્ણ કરી લે છે. આથી દર મહીને પંચાંગમાં એકાદ તિથીનો ક્ષય કે વૃદ્ધિ થતી જોવા મળે છે. પડતર દિવસે સૂર્યોદય સમયે હજુ અમાસ હોય છે અને નવા વર્ષની પહેલી તિથી શરૂ થઈ હોતી નથી. સ્થાનિક રીતે કેટલાંક વિસ્તારોમાં આ વધારાનો દિવસ ગણી નવું વર્ષ બીજે દિવસે ઉજવાય છે તો કેટલાંક વિસ્તારોમાં આ દિવસને અવગણી તેને જ નવા વર્ષના પ્રારંભનો દિવસ ગણી ઉજવણી કરાય છે.

દિવાળીના કયા તહેવાર ક્યારે ઉજવાશે….

તારીખ વાર તહેવાર
29 ઓક્ટોબર મંગળવાર ધનતેરસ
30 ઓક્ટોબર બુધવાર કાળી ચૌદશ
31 ઓક્ટોબર ગુરુવાર દિવાળી
1 નવેમ્બર શુક્રવાર પડતર દિવસ
2 નવેમ્બર શનિવાર બેસતું વર્ષ
3 નવેમ્બર રવિવાર ભાઈ બીજ

Related Posts

Load more